ભાગઃ 4 | બેહમઈ હત્યાકાંડઃ આત્મસમર્પણની એ ક્ષણ

નામઃ ફૂલનદેવી
સ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હી
સમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001
ઉંમરઃ 37 વર્ષ

બાબુ ગુજ્જરના મૃત્યુ પછી વિક્રમ સાથે મળીને અમારી ગિરોહ આરામથી લૂંટ કરતી હતી. બીજા
બધા ડકૈતોએ અમને સરદાર માની લીધા હતા અને અમારા આયોજનનું પાલન પણ કરતા હતા. વિક્રમ અને
હું જાણતા નહોતા કે, અમારા ગિરોહમાં બે-ત્રણ જણાં હતા જેમને નીચલી જાતિના સરદાર સાથે કામ કરવું
પસંદ નહોતું. હું તો વિચારી પણ શકતી નથી કે, ડાકુઓમાં પણ જ્ઞાતિ, જાતિ અને ઊંચ-નીચના વર્ણ જેવા
વિચારો હોય! અમારા જ ગિરોહમાંથી એક જણે શ્રીરામ અને લાલારામને ખબર આપી કે, અમે બેહમઈ ગામ
પર હુમલો કરવાના છીએ. એ બંને જણાંએ પહેલેથી વ્યવસ્થા ગોઠવી રાખી હતી એટલે અમે ગામની
વચ્ચોવચ સપડાઈ ગયા. પોલીસ અને ગામના ઠાકુરોની સાથે મળીને એમની પાસે એટલી બધી બંદૂકો હતી
જેનો સામનો કરવો અમારા માટે લગભગ અશક્ય હતું.

એ લડાઈમાં વિક્રમનું મૃત્યુ થયું. કેટલાક સાથીઓ ભાગી ગયા. કેટલાક મરાયા અને કેટલાક
દગાબાજોને શ્રીરામ અને લાલારામે બચાવી લીધા. હું સપડાઈ ગઈ. ગામના ઠાકુરોએ મારા બંને હાથ અને
પગ બાંધી દીધા. ગામના એક અવાવરું મકાનમાં મને પૂરી દીધી. બેહમઈ ગામના 15થી 75 વર્ષના કેટલાય
ઠાકુરોએ મારા ઉપર 23 દિવસ સુધી રાત-દિવસ બળાત્કાર કર્યો. એ બધાં મારી સાથે મારપીટ કરતા,
અત્યાચાર કરતા. મારી જિંદગીના એ સૌથી ભયાનક દિવસો જે હું ક્યારેય નહીં ભૂલી શકું.

સૌથી દુઃખની વાત એ હતી કે, ગામની બધી સ્ત્રીઓ, માતાઓ, બહેનોને ખબર હતી કે મારી સાથે
શું થઈ રહ્યું છે. એટલું જ નહીં, નજીકના પોલીસ થાણામાં પણ મારી સાથે જે કંઈ થઈ રહ્યું હતું એ વિશે
જાણ હતી તેમ છતાં કોઈએ મને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં. 23 દિવસ પછી ઠાકુરોએ મને નગ્ન કરીને એ
મકાનની બહાર કાઢી. માથા ઉપર બેડું લઈને ગામની વચ્ચેથી નગ્ન શરીરે પસાર થઈને કૂવા ઉપરથી મારી
પાસે પાણી ભરાવ્યું. આખા ગામની શેરીઓમાં લોકો આ જોવા ટોળે વળ્યા.

આપણે બધા કેવા માણસો છીએ! કોઈની બહેન-દીકરીને અપમાનિત થતી, તિરસ્કૃત થતી બચાવી
નથી શકતા… પરંતુ એનો તમાશો બનાવીએ છીએ. જે લોકો મને નગ્ન શરીરે ગામમાં ફરતી જોવા ટોળે
વળ્યા એમાં માત્ર પુરૂષો નહોતા, ગામની સ્ત્રીઓ પણ હતી! બધા મારી હાલત પર હસતા હતા અને ઠાકુરો
વારંવાર મને ટોણાં મારતા હતા કે, ‘સ્ત્રી થઈને ડાકુ બનવા નીકળી હતી? લે, લેતી જા…’ કોઈ વળી કહેતું
હતું, ‘નીચલી જાતિની છોકરી બહુ ડહાપણ કરે તો એની સાથે આવું જ થવું જોઈએ…’ આ બધું સહેતી 23 દિવસના
ભયાનક બળાત્કાર અને અત્યાચાર પછી હું નગ્ન શરીરે આખા ગામમાં ફરી. અંતે, એ લોકોએ મને છોડી
દીધી.

બહેમઈ ગામથી નીકળીને હું મારા ગામ પાછી જઈ શકું એમ નહોતી. બે દિવસ નદી કિનારે ભૂખી-
તરસી પડી રહી એ પછી હું પીર બાબા મુસ્તકીન પાસે પહોંચી. બાબુ ગુજ્જરથી ઉપર જો કોઈ ચંબલની
ઘાટીમાં હોય તો એ હતા પીર બાબા મુસ્તકીન. એ ખૂબ સદાચારી અને પોતાના ઉસુલના પાક્કા હતા. 28
વર્ષની ઉંમરનો એ ડાકુ ગરીબોની મદદ કરતો. એકે એક ગામમાં એના મદદગાર હતા. એની ખ્યાતિ એટલી
બધી હતી કે, કોઈ એમની વિરુધ્ધ પોલીસને માહિતી આપતું નહીં. દરેક ગામમાં એમને છુપાવા માટે જગ્યા
મળી રહેતી. લોકો સામેથી એમને અનાજ અને બીજી વસ્તુઓ પહોંચાડતા. ઉત્તર પ્રદેશના અને ચંબલના
લોકો મુસ્તકીનને પીર બાબાના નામે ઓળખતા. વિક્રમ મલ્લાહ મુસ્તકીનનો દોસ્ત હતો એટલું જ નહીં,
વિક્રમને નશો નહીં કરવાનો, બળાત્કાર નહીં કરવાનો અને સ્ત્રીઓ-બાળકો સાથે અત્યાચાર નહીં કરવાનો,
બલ્કે અત્યાચાર થતો હોય તો એને અટકાવવાનો નિયમ મુસ્તકીને લેવડાવ્યો હતો. વિક્રમની હત્યા કરીને
ઠાકુરો મને બેહમઈ ઉપાડી ગયા હતા, પરંતુ ત્યાંથી છૂટીને હું સૌથી પહેલાં મુસ્તકીન પાસે પહોંચી. મેં એને
બધી જ વાત કરી. એમણે વિક્રમને કેવી રીતે દગો કર્યો, મારી સાથે શું કર્યું એ બધી વાત સાંભળીને મુસ્તકીન
ધ્રુજી ઊઠ્યો. એણે મને આશીર્વાદ આપ્યા એટલું જ નહીં, એણે વચન આપ્યું કે, એ મને બેહમઈ ગામના
ઠાકુરો પર મારો બદલો લેવાની તક આપશે. હું પીર બાબાની ગેંગમાં જોડાઈ ગઈ.

14 ફેબ્રુઆરી, 1981ના દિવસે કાનપુરથી સો કિલોમીટરની દૂરી પર આવેલા એ બેહમઈ ગામમાં
પીર બાબાની ગેંગ સાથે હું પહોંચી. ત્યાં એક લગ્ન ચાલતા હતા. અમે એ લગ્નમાંથી બધા ઠાકુરોને બહાર
કાઢ્યા. જ્યારે ટોળું ભેગું થયું ત્યારે મને સમજાયું કે, આખા કાંડના મુખ્ય સૂત્રધાર શ્રીરામ ઠાકુર અને લાલારામ
ઠાકુર ભાગી ગયા હતા. તેમ છતાં એ ગામના 30 પુરૂષોને પકડીને લાવવામાં આવ્યા. કેટલાક ભાગી ગયા તો
કેટલાક છુપાઈ ગયા. કેટલાક બાળકો હતા-ટીનએજના છોકરાઓ, એમને મેં જવા દીધા. બાકીનાને મેં એક
લાઈનમાં ઊભા રાખ્યા. એ જ કૂવાની પાસે, જ્યાં મારા ઉપર સામુહિક દુરાચાર કરવામાં આવ્યો હતો ત્યાં
જ, બધાંને ઘૂંટણિયે બેસવાનું કહ્યું. આ એ જ ઠાકુરો હતા જેમણે મારા પર અત્યાચાર કરવામાં કશું બાકી
નહોતું રાખ્યું. બધા ધ્રુજી રહ્યા હતા. એમાંના કોઈક રડી રહ્યા હતા. હાથ જોડીને દયાની ભીખ માગી રહ્યા
હતા, પરંતુ મને સહેજ પણ દયા ન આવી. આમ તો આખું ગામ સજાને પાત્ર હતું, પરંતુ વિક્રમને યાદ કરીને
મેં સ્ત્રીઓ અને બાળકોને છોડી દીધા હતા. એક વાર બધાને ઘૂંટણિયે બેસાડ્યા પછી એક સાથે અમારી બંદૂકો
ધણધણી ઊઠી. એક સાથે 22 લાશો પડી. જે આઠ બચી ગયા એમને પણ ગોળી તો વાગી જ. 22 લોકોનું
મૃત્યુ થયા પછી હું ત્યાંથી નીકળી ત્યારે મારા દિલમાં એક વિચિત્ર પ્રકારનો સંતોષ હતો.

બીજા દિવસના અખબારમાં આ હત્યાકાંડ વિશે ભયાનક વખોડતા લેખો છપાયા. માનવ
અધિકારવાળાએ જાતભાતની રેલીઓ કાઢી. આખું ઉત્તર પ્રદેશ ઠરઠરી ઊઠ્યું. કોઈએ કલ્પ્યું નહોતું એવો
બદલો હતો આ. મને જરાક પણ અફસોસ નથી…

એ પછી સરકાર હલી ગઈ. વિશ્વનાથ પ્રતાપ સિંઘે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવું પડ્યું. મને
પકડવા માટે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની પોલીસ નીકળી પડી, પરંતુ 1982 સુધી-એક વર્ષ સુધી એ લોકો
મને પકડી શક્યા નહીં. એ પછી ડીએસપી રાજેન્દ્ર ચતુર્વેદીને કામે લગાડવામાં આવ્યા. એ સારા માણસ હતા.
એમણે હથિયાર વગર આવીને મારી સાથે મિટિંગ કરી. મિટિંગમાં એમણે મને આત્મસમર્પણ કરવા સમજાવ્યું.
મેં ચાર શરતો મૂકી. પહેલું, અમારા ગિરોહમાંથી કોઈને પણ ફાંસી નહીં થાય, બીજું, કોઈને આઠ વર્ષથી વધારે
સજા નહીં થાય, ત્રીજું, મને જમીનનો પ્લોટ મળવો જોઈએ અને ચોથું, મારા આખા પરિવારને
આત્મસમર્પણના પ્રસંગે સન્માનપૂર્વક આમંત્રિત કરવા પડે… સરકારે બધી વાત માની લીધી. હું
આત્મસમર્પણ કરવા તૈયાર પણ થઈ ગઈ, પરંતુ ચંબલ રેન્જના ડીઆઈજી એમ.ડી. શર્મા સારા માણસ
નહોતા. રાજેન્દ્ર ચતુર્વેદીને ક્રેડિટ મળે એ એમનાથી સહી શકાય એવું નહોતું. ઈર્ષામાં આવીને એમણે
મુસ્તકીનભાઈ મુસ્લિમનું એન્કાઉન્ટર કરાવી દીધું. મુસ્તકીન પવિત્ર માણસ હતો એટલે મર્યો નહીં, પણ એને
ગોળી વાગી અને મેં સરેન્ડર કરવાની ના પાડી દીધી. મને લાગ્યુ કે, મને અને મારા સાથીઓને પણ
એન્કાઉન્ટર કરીને મારી નાખશે.

રાજેન્દ્ર ચતુર્વેદી ફરી મને મળવા આવ્યા અને એમણે પોતાની ગેરેન્ટી તરીકે એમના દીકરાને મારી
પાસે રાખ્યો. આજે વિચારું છું તો સમજાય છે કે, એ માણસને મારા પર કેટલો ભરોસો હશે! મેં આ વખતે
શર્ત મૂકી કે, હું ઉત્તર પ્રદેશ નહીં, પણ મધ્ય પ્રદેશમાં આત્મસમર્પણ કરીશ. મને અર્જુનસિંહજી પર વિશ્વાસ
હતો. મેં એવી પણ શર્ત મૂકી હતી કે, હું એમપીની જેલમાં જ રહીશ. ફેબ્રુઆરી, 1983ના દિવસે લાલ શાલ
ઓઢીને 315 રાયફલ સાથે અમે ચંબલના બિહડમાંથી બહાર નીકળ્યા. છ માઈલ દૂર 300 પોલીસવાળા
અમારી રાહ જોઈ રહ્યા હતા. 11 ફેબ્રુઆરીની સાંજે સિંચાઈ વિભાગના ગેસ્ટ હાઉસમાં અમને રાખવામાં
આવ્યા. સારું ખવડાવવામાં આવ્યું અને અમને ખાખી વર્દી આપવામાં આવી.

13 ફેબ્રુઆરી. 1983ની સવારે સાડા ચાર વાગ્યે અમે બે બસમાં રવાના થયા. નિહોના ગામ પાસે
મંદિરમાં દર્શન કર્યાં. મંદિરના ચબૂતરા પર ચડીને 45 મિનિટ સુધી ફાયરિંગ કર્યું. ભિંડ ગામમાં પહોંચ્યા ત્યારે
આઠ-દસ હજાર લોકો ત્યાં ઉપસ્થિત હતા. અનેક વીવીઆઈપી સહિત સીએમ અર્જુનસિંઘ પણ અમારી
પ્રતીક્ષા કરી રહ્યા હતા. અમે સૌ 26 ફૂટ ઊંચા લાકડાના સ્ટેજ પર ચઢ્યા. અમારા હથિયારો મૂક્યા અને મેં
જેવી શર્ત મૂકી હતી એમ જ, મહાત્મા ગાંધી અને મારી મા દુર્ગા સામે મેં હથિયાર મૂક્યા. હજારો લોકોની
ભીડ અમારા આત્મસમર્પણને જોવા આવી હતી. સ્ટેજ પરથી કહેવાયું ત્યારે મને ખબર પડી કે, મારા નામે
અપહરણ, ડકૈતી અને હત્યા જેવા 48 આરોપો હતા. જ્યારે આત્મસમર્પણ કર્યું ત્યારે હું 26 વર્ષની પણ
નહોતી!

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *