પાંચ પેઢીની લોકપ્રિયતા… વૈભવ અને વારસો

સૈફઅલી ખાન પટૌડી અને કરીના કપૂરને ત્યાં જન્મેલું બીજું સંતાન, પુત્ર- ચાર-પાંચ દિવસમાં એક મહિનાનો થશે. શર્મિલા ટાગોર અને મન્સુરઅલી ખાન પટૌડીનો આ પૌત્ર, ક્રિકેટર બનશે કે એક્ટર એવી અટકળ મિડિયાએ અત્યારથી લગાવવાની શરૂ કરી દીધી છે ! કરીના કપૂરના મોટા દીકરા તૈમૂરઅલી ખાનના ફોટા સતત વાઈરલ થતા રહે છે. એ નાનકડા બાળકને કદાચ ખબર પણ નહીં હોય એટલી હદે લોકપ્રિયતા એને મળી ચૂકી છે. એના ભાઈના જન્મ પછી રણબીર કપૂરે કરેલી જાહેરાત પછી સૌથી પહેલો સવાલ એ જ પૂછવામાં આવ્યો, “તૈમૂર શું રીએક્ટકરે છે ?” રણબીર કપૂરે જવાબ આપ્યો, “એ પોતાના નાનાકડા ભાઈને ખોળામાં લેવા તત્પર છે.”

આપણને આશ્ચર્ય થાય એ હદે ચોથી પેઢીએ આ લોકપ્રિયતા અકબંધ રહી શકી છે. આ પરિવાર, મન્સુરઅલી ખાન પટૌડી અને રાજ કપૂરના પરિવારો આજે ચોથી પેઢીએ લોકહૃદયમાં એ જ સ્થાન ધરાવે છે. મન્સુરઅલી ખાનના પિતા ઈફ્તેખારઅલી ખાન પટૌડી પણ એક લોકપ્રિય ક્રિકેટર હતા. બ્રિટીશ રાજના સમયમાં એમનું નાનકડું પ્રિન્સલી સ્ટેટ પટૌડી જે આજે હરિયાણામાં પડે છે, એના એ નવાબ હતા. બહુ ઓછા લોકોને ખબર છે કે ઈફ્તેખારઅલી ખાનના પિતા નવાબ મહોમ્મદ ઈબ્રાહિમઅલી ખાન અને માતા સહરબાનુ બેગમ જે લોહારુના નવાબના પુત્રી હતા એ જાણીતા ઉર્દૂ શાયર મિર્ઝા ગાલિબના પરિવારમાંથી હતા. પાકિસ્તાનના પ્રાઈમમિનિસ્ટર લિયાકતઅલી ખાન પણ સૈફના મોસાળથી એના સગાં થાય છે.

1917માં નવાબ મહોમ્મદ ઈબ્રાહિમઅલી ખાનના મૃત્યુ પછી 1931માં ઈફ્તેખારઅલી ખાનને પઘડી બાંધીને નવાબ જાહેર કરવામાં આવ્યા. ભારત આઝાદ થયું ત્યારે સરકારમાં સ્વેચ્છાએ ભળવા તૈયાર થયેલા બહુ ઓછા નવાબોમાંથી ઈફ્તેખારઅલી ખાન એક હતા, એટલું જ નહીં એમણે બીજા નવાબોને સમજાવવામાં પણ સરદાર પટેલની મદદ કરી હતી. ઈફ્તેખારઅલી પહેલા લાહૌર અને પછી ઓક્સફર્ડમાં ભણ્યા. ભોપાલના નવાબની બીજી દીકરી બેગમ સાજિદા સુલતાન સાથે એમના લગ્ન થયા હતા. વી. પી. મેનનના પુસ્તક ‘ધી સ્ટોરી ઓફ ઈન્ટીગેશન ઓફ ઈન્ડિયન સ્ટેટ્સ’માં એમણે ઈફ્તેખારઅલી ખાનનો ઉલ્લેખ કર્યો છે, એમણે લખ્યું છે, “એક સાચા દેશભક્ત જે બહુ નાની ઉંમરે ગુજરી ગયા.”

ઈફ્તેખારઅલી ખાનનું મૃત્યુ 41 વર્ષની ઉંમરે થયું હતું. એમના મૃત્યુ પછી એમના પુત્ર મન્સુરઅલી ખાન એમની એસ્ટેટ અને ભોપાલના નવાબનો ખિતાબ મેળવવા માટે હકદાર બન્યા. ઈફ્તેખારઅલીનું સ્વપ્ન હતું કે એમનો દીકરો ઈન્ડિયન ટેસ્ટ ક્રિકેટ રમે. એ પોતે પણ ખૂબ સારા ક્રિકેટર હતા. જ્યારે ઈંગ્લેન્ડમાં ભણતા હતા ત્યારે એમ.જી. સ્લેટર અને ફ્રેન્ક વુલિ પાસે એમનું ક્રિકેટનું પ્રશિક્ષણ થયું હતું. કેમ્બ્રિજની સામે રમાયેલી ઓક્સફર્ડની મેચમાં એમણે પહેલી સેન્ચુરી મારી હતી. એમના અનેક રેકોર્ડ્સ આજે પણ ઈંગ્લેન્ડ અને ભારતીય ટીમ માટે માઈલસ્ટોન્સ છે.

1932-33માં ઈફ્તેખારઅલી ખાન પહેલી ટેસ્ટ માટે પસંદ થયા હતા. જામ રણજિત એમના આદર્શ હતા. સિડનીની ટેસ્ટમાં એમણે 100 રન કર્યા અને ઈંગ્લેન્ડને જીતાડ્યું. કેપ્ટન ડગલાસ જાર્ડિનના પુસ્તકમાં એમનો ખૂબ જ આદરપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બોડીલાઈન ટેક્ટીક્ટ સામે એમણે પોતાનો વિરોધ જાહેર કર્યો હતો. મેલબોર્નની ટેસ્ટ પછી એ જ કારણે એમને ડ્રોપ કરવામાં આવ્યા. 1933માં એ અનેક કાઉન્ટી મેચો રમ્યા. એમને ભારતના પોસીબલ કેપ્ટન તરીકે 1932માં પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ એમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું. એ પછી 1936ની ઈંગ્લેન્ડની ટૂર માટે પણ એમને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા, પરંતુ એમણે ફરી પોતાનું નામ પાછું ખેંચી લીધું. એ વખતે બધાને લાગ્યું હતું કે એમને રાજા જેવી સગવડો નહીં મળે એ માટે તેઓ ટીમ સાથે જવા માગતા નથી. અંતે, 1946માં એ કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ ટૂરમાં જોડાયા. એમની રનની એવરેજ ઓછી હતી, પરંતુ ભારતીય ક્રિકેટ એમને ખૂબ આદરથી યાદ કરે છે.

એ ખૂબ સારા હોકી અને બિલિયર્ડ પ્લેયર પણ હતા. એ ખૂબ સારા વક્તા અને વ્યક્તિ હતા… ભારતીયના અનેક પુસ્તકોમાં ઈફ્તેખારઅલી ખાનનો ઉલ્લેખ એક સારા ક્રિકેટર, સારા વ્યક્તિ અને સાચા દેશભક્ત તરીકે જોવા મળે છે.

એમના પુત્ર મન્સુરઅલી ખાન પટૌડી પણ ખૂબ સારા ક્રિકેટર હતા. એમણે પણ ભારતના કેપ્ટન તરીકે અનેક મેચ રમી અને જીતાડી. મન્સુરઅલી ખાન પટૌડીને ગ્રાઉન્ડ ઉપર બોલ વાગવાથી એક આંખ ગુમાવવી પડી, પરંતુ એમણે ક્રિકેટ રમવાનું છોડ્યું નહોતું. એ પછી પણ એમણે ભારતીય ક્રિકેટ સાથે પોતાનો નાતો ટકાવી રાખ્યો. મન્સુરઅલી ખાન પટૌડી જ્યારે ટોપના ક્રિકેટ સ્ટાર હતા ત્યારે એમના સિમી ગરેવાલ સાથેના પ્રણય સંબંધોની ચર્ચા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંભળાતી હતી. જોકે, 1969ના ડિસેમ્બરમાં એમણે શર્મિલા ટાગોર સાથે લગ્ન કરી લીધા.

એમના પ્રણય સંબંધનો કિસ્સો પણ ખૂબ રસપ્રદ છે. ક્યારેક ઈતિહાસ ફરી ફરીને પોતાને જ દોહરાવતો હોય એવું આપણને લાગે છે. 1965ની આસપાસ રાજ કપૂરે પોતાની ફિલ્મ મેરા નામ જોકર શરૂ કરી. જેમાં રાજ કપૂરના બાળપણની ટીચરનો રોલ સિમી ગરેવાલે નિભાવ્યો. રાજ કપૂર અને સિમીની નિકટતાને કારણે મન્સુરઅલી ખાન અને સિમી વચ્ચે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ હતી. મન્સુરઅલી ખાન પટૌડીને કદાચ એવું સમજાઈ ગયું હતું કે સિમી ગરેવાલની માન્યતાઓ, વિચારો અને જીવનશૈલી પટૌડી તહેઝિબ સાથે મેળ ખાઈ શકે તેમ નથી. મન્સુરઅલી ખાન પટૌડીએ એક દિવસ સત્તાવાર રીતે સિમી સાથેના પોતાના સંબંધો પૂરા થયાની જાહેરાત કરી દીધી. એ વાત સિમી ગરેવાલે એક ઈન્ટરવ્યૂમાં બહુ રસપ્રદ રીતે જણાવી હતી, મન્સુરઅલી ખાન પટૌડી એમને મળવા ગયા હતા. સિમી ગરેવાલે અત્યંત આગ્રહ કર્યા પછી એમણે લીંબુ શરબત પીવાની હા પાડી. મન્સુરઅલી ખાન પટૌડીએ સિમીને સ્પષ્ટ કહ્યું, “મેં કોઈ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે.” સિમીએ આખી વાતને બહુ સારી રીતે લેવાનો પ્રયાસ કર્યો. આટલા લાંબા સમયના સંબંધમાં એમને પણ સમજાઈ ગયું હતું કે, એ પોતે પણ નવાબના પરિવાર અને એની સાથે જોડાયેલા કેટલાક રીતિરિવાજમાં ફીટ નહીં થઈ શકે…

બંને જણા મિત્રો તરીકે છૂટા પડ્યા અને જીવનભર મિત્રો રહેવાનું પણ નક્કી કર્યું. સિમીજી જ્યારે મન્સુરઅલી ખાન પટૌડીને લિફ્ટ સુધી મૂકવા ગયા ત્યારે એમણે જોયું કે, શર્મિલાજી લિફ્ટ પાસે ટાઈગરની પ્રતિજ્ઞા કરી રહ્યા હતા. સિમી માટે અત્યાર સુધી જે વાત સહજ હતી એ અચાનક એક બહેનપણીએ કરેલા દગામાં પલટાઈ ગઈ. ઘણા વર્ષો સુધી સિમીજી અને શર્મિલાજી એકબીજા સાથે બોલ્યા નહીં… અંતે, ‘રેન્ડેવુ વીથ સિમી ગરેવાલ’માં શર્મિલાજી અને પટૌડીને સાથે નિમંત્રિત કરવામાં આવ્યા ત્યારે બંને બહેનપણીઓએ દિલ ખોલીને વિતેલા સમય વિશે વાત કરી. આ એપીસોડ ‘રેન્ડેવુ વીથ સિમી ગરેવાલ’નો એક ચીરસ્મરણિય એપીસોડ બની રહ્યો. સિમી જે રીતે ટાઈગરને વારેવારે ‘મન્સુર’ કહીને સંબોધતા હતા એનાથી બંનેની નિકટતા સ્પષ્ટ રીતે દેખાઈ આવી !

શર્મિલાજી ટાગોર હિન્દી અને બંગાળી સિનેમાના સ્ટાર હતા. એમની પહેલી જ ફિલ્મ ભારતના લેજેન્ડરી ડિરેક્ટર સત્યજીત રાયની ફિલ્મ
‘અપૂર સંસાર’ (1959) હતી. ત્યારે શર્મિલાજી 14 વર્ષના હતા. હિન્દી સિનેમામાં એમની પહેલી ફિલ્મ મેગાસ્ટાર શમ્મી કપૂર સાથે હતી.
એમણે અનેક કોમર્શિયલ અને ક્લાસીક ફિલ્મો કરી. લગભગ 2010 સુધી સિનેમાના જગત સાથે જોડાયેલા રહ્યા પછી એ સેન્સર બોર્ડ ઓફ
ફિલ્મ સર્ટિફિકેટના હેડ રહ્યા. અત્યારે એ એમના પટૌડી ખાતેના નિવાસસ્થાને નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.

એમનો દીકરો સાજીદ પિતાના આગ્રહને કારણે થોડો સમય માટે ક્રિકેટ રમ્યો, પરંતુ એને ક્રિકેટમાં બિલકુલ રસ નહોતો. એનું પ્રાઈવેટ કોચિંગ કરવામાં આવ્યું અને એને રણજી ટ્રોફી સુધી ધકેલવાનો મન્સુરઅલી ખાન પટૌડીએ પૂરો પ્રયાસ કર્યો. અંતે, પિતા સાથેના પૂરા મતભેદ સહિત સાજીદે ક્રિકેટને અલવિદા કહીને સિનેમામાં પદાર્પણ કર્યું. આજે આપણે જેને સૈફઅલી ખાન પટૌડી તરીકે ઓળખીએ છીએ એની પાસે પાંચ પેઢીનો ઈતિહાસ છે.

બ્રિટીશ રાજથી શરૂ કરીને આજ સુધી સૈફઅલી ખાન પટૌડી એના ક્લાસ અને વ્યવહારથી હિન્દી સિનેમા જગતમાં સન્માનનીય સ્થાન ભોગવે છે. એમને ત્યાં બીજા (ત્રીજા દીકરા)નો જન્મ થયો છે. એમના પહેલા લગ્ન 21 વર્ષની ઉંમરે એમનાથી 12 વર્ષ મોટા અમૃતા સિંઘ સાથે થયા હતા. પટૌડી પરિવારે અમૃતા સિંઘને બહુ સ્નેહથી સ્વીકાર્યા નહીં, તેમ છતાં એમના 15 વર્ષના લગ્નજીવનમાં સારાહ અને ઈબ્રાહિમ નામના બે સંતાનોનો જન્મ થયો. સારાહ અભિનેત્રી છે અને ઈબ્રાહિમ અભિનેતા બનવાના રસ્તે છે.

ક્યારેક આપણે આશ્ચર્ય થાય, પરંતુ પારિવારિક પરંપરાઓ બહુ રસપ્રદ હોય છે. આજે, કરીના કપૂરને જન્મેલો બીજો દીકરો બંને તરફથી પાંચ પેઢીની લોકપ્રિયતા અને ઈતિહાસ લઈને જન્મ્યો છે. આવો વારસો દરેકને નથી મળતો…

One thought on “પાંચ પેઢીની લોકપ્રિયતા… વૈભવ અને વારસો

  1. Khyati says:

    Medam you are amazing. I have been watching you and listening you since 2011 , when I was in 11th std.. I have just lost my mother in October 2010 and after sometime I have seen your photos. And you were exactly looking like my mom then, and so you are now also. My fingers used to numb when I type any msg to you, it feels like I am sending something to my mother. We love you a lot, not for the fame and what you have done, I mean also for that. But I really love you for being you. Gujarati ma kahu to Tamara hovanu j game che mane… You are incredibly giving back to the society from bottom of your heart. Ane e vastu loko sudhi pohche che. I wish, I can meet you sometime and spend time with you. Pan tame j kaho cho ne, physically madvano bav moh nathi, man ma to cho j tame… Wish you very happy and healthy life ahead.
    Love
    Khyati.

Leave a Reply to Khyati Cancel reply

Your email address will not be published. Required fields are marked *