રક્ત – વિરક્ત | પ્રકરણ – 25

રાધાએ પોતાનો નાનકડો પટારો ઊઠાવ્યો. છ-સાત સાડીઓ, થોડાક ફોટોગ્રાફ્સ, ભગવદ્ ગીતા, લગ્નનું
આલ્બમ અને રોજિંદા વપરાશની થોડી ચીજવસ્તુઓ-ચેક કરીને એની જેલ ટ્રાન્સફરની તૈયારી કરવામાં આવી. એ આ
જેલમાં છે એ વિશે કોઈ પુરાવા નહોતા એટલે પેપરવર્ક તો કંઈ હતું જ નહીં, માત્ર એક જેલથી બીજી જેલ જતી
વખતે એની સલામતીની કાળજી લેવા સિવાય બીજું કશું કરવાનું નહોતું. પોતાના લાંબા વાળનો અંબોડો વાળીને,
સાદી સુતરાઉ સાડી પહેરીને રાધા જ્યારે જેલની ડોકાબારી પાસે આવીને ઊભી રહી ત્યારે એને વિદાય આપવા
ઊભેલા સોલંકીએ દરવાજો ખોલતી વખતે એને નમસ્તે કર્યા. રાધાએ સામે નમસ્તે કર્યાં.
‘કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, મેડમ.’ સોલંકીએ કહ્યું.
રાધાએ હાથ જોડીને કહ્યું, ‘શામ્ભવી ગમે તેટલી જીદ કરે, એને મારું લોકેશન નહીં આપતા.’ સોલંકીએ સહેજ
ભીની આંખે ડોકું ધૂણાવીને ‘હા’ પાડી.
ડોકાબારી ખોલીને રાધા બહાર નીકળી. એને કોઈ પોલીસવાનમાં નહોતું જવાનું. એક પ્રાઈવેટ સ્વીફ્ટ ગાડી
એને લેવા આવી હતી. એ ગાડીમાં બેસીને રાધાએ દરવાજો બંધ કર્યો. સાબરમતી જેલ લખેલા મોટા સાઈન બોર્ડ
સામે જોઈને એણે ક્ષણભર માટે આંખો મીંચી.
ગાડી રાધાને લઈને અમદાવાદ શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થવા લાગી.
રાધાના નીકળી ગયાના 10 મિનિટ પછી એક સફેદ સ્વીફ્ટ આવીને ઊભી રહી. એમાંથી માણસ ઉતર્યો. એણે
ડોકાબારી પર ટકોરા માર્યા. સંત્રીએ દરવાજો ખોલ્યો, ‘રાધા ચૌધરી…’ ત્યાં આવેલા ડ્રાઈવરે પૂછ્યું.
‘એ તો…’ સંત્રી બેબાકળો થઈ ગયો. શું જવાબ આપવો એ એને સૂઝ્યો નહીં. રાધા ચૌધરી તો નીકળી ગયા!
હવે આ માણસ એને લેવા આવ્યો હતો. અર્થ એ થયો કે રાધા ચૌધરી કોઈ ખોટા માણસ સાથે ગયા. આ વાતનો ખ્યાલ
આવતાં જ સંત્રીનું મગજ ચકરાઈ ગયું. એને સો વિચાર આવી ગયા. એણે ડ્રાઈવરને દરવાજે જ ઊભો રાખ્યો, એ
ઘાંઘો થઈને સોલંકીની કેબિન તરફ દોડ્યો.
‘સાહેબ… સાહેબ…’ સંત્રી હાંફતો હતો, ધ્રૂજતો હતો.
‘શું થયું લ્યા?’ રાધા હવે પોતાની જેલમાં નથી, હવે પોતે કમલનાથ ચૌધરીને જવાબ નહીં આપવો પડે.
એમની દીકરીથી કંઈ છુપાવવું નહીં પડે એ વિચારે નિરાંત અનુભવી રહેલા સોલંકીને અહીં બની ગયેલા કાંડ વિશે કોઈ
કલ્પના જ નહોતી.
‘રાધા ચૌધરીને લેવા માણસ આવ્યો છે.’ સાંભળતાં જ સોલંકીને જાણે ખુરશીમાં વિજળીનો આંચકો લાગ્યો
હોય એમ એ ઉછળીને ઊભો થઈ ગયો, ‘સાહેબ… પેલો માણસ તો…’ આગળ કહેવાની સંત્રીની હિંમત નહોતી.
‘શું બકે છે?’ સોલંકીએ પૂછ્યું, ‘એમને લઈ ગયો એ…’
‘ખોટો માણસ હતો.’ સંત્રીએ કહી નાખ્યું. સોલંકીને સમજાઈ ગયું. એ દોડ્યો. બહાર ઊભેલા ડ્રાઈવર સાથે
ખાસ્સીવાર રકઝક કર્યા પછી સોલંકીને સમજાયું કે, એમણે પૂરી ખાતરી કર્યા વગર કમલનાથ ચૌધરીની પત્ની રાધા
ચૌધરીને ખોટા માણસ સાથે રવાના કરી દીધી હતી. આ એવો ગુનો હતો જેની સજા શું હોઈ શકે એના વિચાર માત્રથી
સોલંકીના ગાત્રો ઢીલાં થઈ ગયાં.
હવે આ સમાચાર કમલનાથ ચૌધરીને કેવી રીતે આપવા, રાધાને કોણ લઈ ગયું હશે, એની સાથે કંઈ ખોટું થશે
તો પોતે શું કરશે… એવા અનેક સવાલો જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ સોલંકીના મગજમાં કોઈ કેબલ કારની જેમ ધડામ-ધુડુમ
અફળાવા લાગ્યા.

પોતાની કેબિનમાં જઈને એ ખુરશી પર ફસડાઈ પડ્યો. ખાસ્સીવાર વિચાર્યા પછી એણે કમલનાથ ચૌધરીને
ફોન લગાવ્યો, ‘સાહેબ… સાહેબ…’
‘બોલો!’ કમલનાથે સહજતાથી કહ્યું, ‘રાધા નીકળી ગઈ?’
એમનું વાક્ય પૂરું થાય એ પહેલાં સોલંકીએ સોગિયું મોઢું કરીને જણાવ્યું, ‘સાહેબ, મેડમ ખોટી ગાડીમાં
અહીંથી નીકળી ગયા.’
‘હેં?!?’ કમલનાથ ચૌધરીએ જાણે જીવતો સાપ પોતાની છાતી પર જોયો હોય એમ એમની આંખો પહોળી
થઈ ગઈ, કપાળે પરસેવો વળી ગયો. એમની જીભ સુકાવા લાગી, ‘શું બોલે છે?’ એમનાથી સોલંકીને તુંકારો થઈ ગયો.
‘બહુ મોટી ભૂલ થઈ છે, સાહેબ. આપે સૂચના આપેલી કે સફેદ સ્વીફ્ટ આવશે. મને કહેલું કે, સાંજે બેરેકની
હાજરી લેવાઈ જાય પછી સાડા છએ આવશે. ડ્રાઈવરે આવીને મેડમ વિશે પૂછ્યું. ગાડી સવા છએ આવી હતી. મને
લાગ્યું કદાચ, વહેલો પહોંચ્યો…’ સોલંકી થોથવાયો, ‘એણે મેડમને ગાડીમાં બેસાડ્યા અને નીકળી ગયો. અમે નંબર ચેક
કરવાનું ચૂકી ગયા. પછી 5-7 મિનિટ રહીને બીજી ગાડી આવી… એનો નંબર એ જ હતો જે અમને આપ્યો હતો,
એટલે… એટલે…’ સોલંકી થોથવાયો, ‘આ… આ ડ્રાઈવર સાચો, પણ પેલો…’
‘મૂરખ, ગધેડા.’ કમલનાથ ઉશ્કેરાટમાં ધ્રૂજતા હતા, ‘કોણ લઈ ગયું એને?’ કમલનાથને ફાળ પડી. ‘હું આવું
છું.’ એમણે કહ્યું. ફોન મૂકી દીધો. રાધાને લેવા આવેલો સાચો ડ્રાઈવર હુકમની રાહ જોતો ત્યાં જ ઊભો હતો. આવી
રહેલી મુસીબતની તૈયારી માટે સોલંકીએ પોતાના મનને મજબૂત કરવા માંડ્યું.

*

અમદાવાદની બપોર બહેનના નાનકડા ઘરમાં માંડ વિતાવ્યા પછીના અલસ વાતાવરણમાં આંખો મીંચવાનો
પ્રયાસ કરી રહેલો રઝાક બેચેન હતો. રઝાકનું મગજ કામે લાગ્યું હતું. સામાન્ય રીતે બાબાસાહેબ ચિત્તુને ક્યાંય એકલો
જવા દેતા નહીં. એનો ઈશ્કી મિજાજ અને ગરમ મગજ વિશે બાબાસાહેબને સતત ચિંતા રહેતી. એ જ્યારે રઝાક સાથે
અમદાવાદ આવવા જીદે ચડ્યો ત્યારે બાબાસાહેબે એને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નાના બાળકની જેમ હઠ
કરીને ચિત્તુ રઝાક સાથે અમદાવાદ આવ્યો હતો. એ સાંજે ચિત્તુ કોઈકને મળવા ગયો હતો… એને ઈન્ટરનેટ પર મળેલી
કોઈ છોકરીને! રઝાકે એને ત્યારે પણ સમજાવ્યો હતો, પરંતુ ચિત્તુ નીકળી ગયો. એ પછી ચિત્તુ પાછો નહોતો આવ્યો,
કે ન એનો ફોન! એ જે ફોન લઈને ગયો હતો, એ ફોન પણ ક્યાં ગયો એ વિશે કોઈ માહિતી નહોતી મળી શકી. એને
ટ્રેક કરવો કે શોધવો હોય તો પણ ક્યાં અને કેવી રીતે શોધવો એ કોઈને સમજાયું નહોતું છતાં, અંધાધૂંધ શોધ કરવામાં
આવી હતી. ચિત્તુ, બસ! ખોવાઈ ગયો હતો.
આજે 13 વર્ષ પછી રઝાક ફરીથી એ જ જગ્યાએથી શરૂઆત કરી રહ્યો હતો, જ્યાં એણે આ તપાસ અધૂરી
છોડી હતી. બાબાસાહેબનો લાડકો નાનો ભાઈ-દીકરા કરતાં ય વધુ, ચિત્તુને પોતાની સાથે લઈને અમદાવાદ આવેલો
રઝાક પોતાની જવાબદારી સમજતો હતો એટલે ચિત્તુ નીકળ્યો એની પાછળ પાછળ રઝાક પણ નીકળ્યો હતો. રઝાકે
કોઈ દિવસ બાબાસાહેબને આ વાત કહી નહોતી, પરંતુ આવા ‘ઈન્ટરનેટિયા’ ચક્કરમાં ક્યાંક ચિત્તુ સપડાય, છોકરીના
નામે કોઈ ટ્રેપ નીકળે તો બેકઅપની જરૂર પડશે એ વિચારે રઝાક એને ખબર ન પડે એમ ચિત્તુની પાછળ પાછળ
કમલનાથ ચૌધરીના જૂના બંગલા સુધી ગયો હતો. એણે ચિત્તુને બંગલામાં પ્રવેશતો જોયો હતો. એ વખતે કમલનાથ
ગૃહપ્રધાન હતા. બહાર પોલીસનો પહેરો, મોબાઈલ વાન અને બીજી ભીડ જોઈને એકવાર રઝાકને વિચાર આવ્યો
હતો કે, ચિત્તુને રોકવો જોઈએ, પરંતુ સેક્સ માટે કંઈ પણ કરી શકે એવો આ માણસ, વ્હોટ્સએપ પર છોકરીના
લલચાવનારા ફોટા જોયા પછી ચિત્તુ એનું નહીં માને એમ વિચારીને રઝાકે એને રોકવાનું ટાળ્યું… એ વાતનો અફસોસ
રઝાકને આજ સુધી રહ્યો.
જોકે, ચિત્તુના અંદર દાખલ થયા પછી પણ લગભગ ત્રણેક કલાક રઝાક ત્યાં ઊભો રહ્યો, પણ ચિત્તુ બહાર ન
આવ્યો એટલે ‘સબ સલામત’ છે એમ માનીને રઝાક ત્યાંથી નીકળી ગયો. એ વાતે પણ રઝાક પસ્તાતો રહ્યો. પોતે
ચિત્તુની પાછળ ગયો હતો તેમ છતાં એ બહાર આવ્યો એ પહેલાં પોતે ત્યાંથી નીકળી ગયો, ને પછી આ કાંડ થયું… એ
વાત જાણીને બાબાસાહેબ નારાજ થશે એવું વિચારીને રઝાકે એમનાથી આ માહિતી છુપાવી હતી, પરંતુ જ્યારે ફરી
એકવાર બાબાસાહેબે એને ચિત્તુને શોધવાનું કામ સોંપ્યું ત્યારે રઝાકે ફરી એકવાર એ જ બંગલાથી શરૂઆત કરી, જ્યાં
એણે છેલ્લીવાર ચિત્તુને દાખલ થતો જોયો હતો! જે બંગલામાં ચિત્તુ પ્રવેશ્યો હતો એ ગૃહમંત્રીનો બંગલો હતો એ
વાતની રઝાક જેવા ચાલાક માણસને ખબર ન પડે એ શક્ય જ નહોતું. ચિત્તુ સવાર સુધી પાછો ન ફર્યો ત્યારે રઝાકને
કશું ભયાનક બન્યાની આશંકા આવી જ ગઈ હતી તેમ છતાં બાબાસાહેબના હુકમ પર એણે ચિત્તુને શોધવાના તનતોડ
પ્રયાસ કર્યા. હજી સુધી બાબાસાહેબને આ બધાં સત્યો રઝાકે જણાવ્યા નહોતા, પરંતુ હવે જ્યારે બાબાસાહેબ ફરી
એકવાર ચિત્તુને શોધવા મરણિયા થયા હતા ત્યારે આ સત્યો દત્તાત્રેય શંકરરાવ મોહિતેને જણાવ્યા વગર નહીં ચાલે એ
વાત રઝાકને અંદરને અંદર ખાઈ જતી હતી. રઝાક તો માનતો જ હતો કે, ચિત્તુ હવે આ જગતમાં નથી, પરંતુ આ
વાત બાબાસાહેબને મોઢામોઢ કહેવાની રઝાકની હિંમત નહોતી.
રઝાકના ખબરીઓએ એને આપેલી વિગતો મુજબ એ રાત્રે ચિત્તુ એમના ઘરમાં ઘૂસ્યો એ પછી બીજે દિવસે
ગૃહમંત્રીના પત્નીનું મૃત્યુ થયું… એ સળગીને ગુજરી ગઈ! આ માહિતી રઝાકને બીજે દિવસે જ મળી ગઈ હતી. એ
ઘડીએ જ રઝાકના મનમાં બેને બે ચાર થઈ ગયું હતું-ચિત્તુ આગલી રાત્રે ગૃહમંત્રીના પત્નીને મળવા ગયો હોવો
જોઈએ… પકડાયો હશે… કદાચ, મારી નાખવામાં આવ્યો હોય કે પછી પકડાઈ જવાના ભયથી ચિત્તુ રાતોરાત ગાયબ
થઈ ગયો! જોકે, ગાયબ થયો હોય તો અત્યાર સુધી બાબાસાહેબનો સંપર્ક કર્યા વગર રહે નહીં. 13 વર્ષ સુધી ચિત્તુ
છુપાઈને ક્યાં રહી શકે? એ સવાલનો જવાબ રઝાકને મળતો નહોતો. એણે અમદાવાદ આવ્યા પછી વિચારવાનું શરૂ
કર્યું ત્યારે એને એ પણ સમજાયું કે, જ્યારે આ બધું બન્યું ત્યારે બાબાસાહેબ પક્ષના કાર્યકર માત્ર હતા. એમના જીવનની
પહેલી ચૂંટણી પણ લડ્યા નહોતા, એટલે એમની એવી કોઈ પહોંચ નહોતી, કે જેના વડે એ પોતાના ભાઈને
ગુજરાતના ગૃહમંત્રીના ઘરમાં ભયાનક અપરાધ કર્યા પછી પણ બચાવી શકે, પરંતુ આજે કમલનાથ ચૌધરી ગૃહમંત્રી
નહોતા-ને દત્તાત્રેય શંકરરાવ મોહિતે પક્ષના સામાન્ય કાર્યકર નહીં, મહારાષ્ટ્રના ગૃહમંત્રી હતા! બાજી પલટાઈ ગઈ
હતી, એટલે જો ચિત્તુ જીવતો હોય તો ભાઈના મિનિસ્ટર બન્યા પછી એણે તરત એના ‘બાબા’નો સંપર્ક કર્યો જ
હોત… હજી સુધી, 13 વર્ષ સુધી એણે બાબાસાહેબનો સંપર્ક ન કર્યો એનો અર્થ જ એ છે કે, ચિત્તુ હવે હયાત ન હોય.
આ સ્થિતિમાં એના મૃત્યુના સંજોગો અને હત્યારાની તપાસ કરવી કેટલી અઘરી હતી એ રઝાકને બરાબર સમજાતું
હતું, પરંતુ બાબાસાહેબનો હુકમ નહીં ઉઠાવવાની રઝાકની હેસિયત નહોતી.
ચિત્તુના ગાયબ થવાના બીજા દિવસે ગૃહમંત્રીના પત્નીનું મૃત્યુ થયું. એ પછી થોડા જ દિવસોમાં ચૌધરી
પરિવાર એમનો શહેરમાં આવેલો મોટો બંગલો છોડીને ફાર્મ હાઉસમાં શિફ્ટ થઈ ગયો. એ અમંગળ ઘટના પછી, જૂના
બંગલાને સહુ એ હદે ભૂલી જવા માગતા હતા કે, કમલનાથ ચૌધરીએ એ ઘર બજાર કિંમત કરતા સસ્તા ભાવે વેચી
નાખ્યું. બે પેઢીની સ્મૃતિઓ જ્યાં સચવાઈ હતી એ ઘર પર જે દિવસે બુલડોઝર ફર્યું, એ દિવસે કમલનાથ ચૌધરીનું
હૃદય વલોવાઈ ગયું, પરંતુ એમણે આંખમાં આંસુ આવવા દીધાં નહીં. થોડા જ દિવસોમાં દીકરીને અમેરિકા મોકલી
દીધી અને પોતે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી.
આ બધું જાણ્યા પછી રઝાકની શંકા ખાતરીમાં પલટાઈ ગઈ હતી. એને તો ખબર જ હતી કે, અમદાવાદ
આવવાનો અથવા અમદાવાદમાં રોકાવાનો કોઈ અર્થ નહોતો. બાબાસાહેબના સંતોષ ખાતર એકવાર અમદાવાદ
આવીને તપાસ કરવાનો ડોળ કર્યા પછી ચિત્તુના મૃત્યુના સમાચાર આપવા એવું નક્કી કરીને જ રઝાક અમદાવાદ
આવ્યો હતો. ચિત્તુ એ રાત્રે-બંગલામાં મરી ગયો એ વાત નક્કી જ હતી. આ સમાચાર બાબાસાહેબને કેવી રીતે
આપવા એના ચોકઠાં પોતાના મનમાં ગોઠવતો રઝાક અમદાવાદથી નીકળવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે રઝાકનો એક
અતિવિશ્વાસુ માણસ આખી બાજી પલટાવી નાખે એવા સમાચાર લઈને આવ્યો. એણે રઝાકને સમાચાર આપ્યા કે,
એ રાત્રે બંગલામાં એક એમ્બ્યુલન્સ આવી હતી… અમદાવાદના મડદા ઘરમાંથી એક સ્ત્રીનું શબ કમલનાથ ચૌધરીના
બંગલામાં લાવવામાં આવ્યું હતું, પરંતુ એ એમ્બ્યુલન્સ પાછી ગઈ ત્યારે ખાલી નહોતી-એમાં એક ઘવાયેલા માણસને
લઈ જવામાં આવ્યો હતો. એ માણસને ગોળી વાગી હતી! જયરાજ પાસે આ સમાચાર બંગલામાં કામ કરતી એક
અત્યંત જૂની બાઈ, જડી પાસેથી આવ્યા હતા. જડી અને જયરાજ મામા-ફોઈના ભાઈ-બહેન હતાં. પોતાનું નામ ન
આવે એ શરતે જડીએ આ ભયાનક રહસ્ય જયરાજ સામે ઊઘાડી નાખ્યું હતું.
બે દિવસથી રઝાકનો મિત્ર જયરાજ ‘ચૌધરી રેસિડેન્સ’ના ફાર્મ હાઉસ પર નજર રાખતો હતો. એ રઝાકનો
સૌથી જૂનો માણસ હતો. અમદાવાદમાં રઝાકની બ્રાન્ચ ઓફિસ કહી શકાય એટલો વિશ્વાસુ! સજાગ અને સભાન!
તેજ એવો કે ઉંધો ઊભો હોય તો પણ કોઈના ધીમા ડગલાં એને સંભળાઈ જાય. આંખો મીંચીને અવાજની દિશામાં
વિંધી શકતો. અત્યંત કામનો માણસ હોવા છતાં રઝાક એને પોતાની સાથે રાખી શકતો નહીં કારણ કે આ માણસ,
જયરાજ-બહુ ઈમોશનલ હતો. દરેક વાતમાં સાચા-ખોટાના ત્રાજવા લઈને તોલવા બેસી જતો. એની પાસે એનું
પોતાની ખરા-ખોટાની વ્યાખ્યા હતી, એટલે રઝાકની પ્રવૃત્તિઓ સાથે એ સહમત નહોતો જોકે, દોસ્ત તરીકે રઝાકને
જ્યારે જરૂર હોય ત્યારે મિત્રભાવે મદદ કરવા એ હંમેશાં તૈયાર રહેતો, પરંતુ ધંધામાં સાથે રાખવાના રઝાકના પ્રયત્નો
પછી એને સમજાઈ ગયું હતું કે આ, જયરાજ આખી જિંદગી લોખંડની જાળીઓ બનાવશે, દરવાજા બનાવશે, મજૂરી
કરશે, પણ બાબાસાહેબના ધંધામાં રઝાક સાથે જોડાવાનું એ ક્યારેય મંજૂર નહીં કરે.
‘ચૌધરી રેસિડેન્સ’માં એ રાત્રે લાવવામાં આવેલું શબ, એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવેલા એ ઘાયલ
માણસની વિગતો જાણ્યા પછી રઝાકના મનમાં ગડમથલ શરૂ થઈ. એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો એ માણસ
કદાચ, ચિત્તુ હોઈ શકે, ન પણ હોઈ શકે! રઝાકનું લોજિક અને બુધ્ધિ કહેતાં હતા કે, જો એ માણસ ચિત્તુ ન હોય તો
ચૌધરી પરિવારનો કોઈ એવો સભ્ય હોવો જોઈએ જેના ઉપર ચિત્તુએ ગોળી ચલાવી હોય… એક શક્યતા એવી પણ
હતી કે, એમ્બ્યુલન્સમાં બંગલાની બહાર નીકળીને ઘાયલ ચિત્તુ ત્યાંથી જ ભાગી છૂટ્યો હોય, પછી ક્યાંક એનું મૃત્યુ
થયું હોય? સવાલો હજાર હતા, આશંકાઓ અનેક! રઝાકને એક પણ છેડો જડતો નહોતો, જ્યાંથી આ અનેક
શક્યતાઓના ગૂંચવાડાને ઉકેલવાની એ શરૂઆત કરી શકે!
એનો મિત્ર જયરાજ ચતુર હતો, એણે પોતાની ફોઈની દીકરી જડી પાસેથી એ ‘રાત’ વિશે પૂરેપૂરી માહિતી
કઢાવી. આ ચૌધરી પરિવારના જૂના બંગલામાં બનેલી ઘટના હતી. રાતના ભોજન પછી સામાન્ય રીતે સૌ
પોતપોતાના રૂમમાં ચાલી જતા, એ રાત્રે પણ ગયા. જડી રસોડું પરવારીને એના સર્વન્ટ ક્વાર્ટરમાં ચાલી ગઈ હતી
ત્યારે ‘સાહેબ’ના બંગલામાંથી રિવોલ્વરનો ધડાકો સંભળાયો હતો. અચાનક બધા રૂમની લાઈટો થઈ… થોડી દોડાદોડી
થઈ. જડી સર્વન્ટ ક્વાર્ટરથી બંગલા તરફ આવી, પરંતુ ચોકીદારે એને અંદર જવા દીધી નહોતી. થોડી જ મિનિટોમાં
એક એમ્બ્યુલન્સ આવી, જેમાંથી સ્ટ્રેચર પર એક સ્ત્રીનું શરીર ઉતારવામાં આવ્યું. જડીએ આમ તો થોડે દૂરથી જ
જોયું, પરંતુ એ અજાણી સ્ત્રીનું શરીર હાલતું-ડોલતું નહોતું. જડીને ખાતરી થઈ ગઈ કે, એ શબ હતું. થોડીવાર પછી એ
જ સ્ટ્રેચર પર એક ઘાયલ માણસને લઈ જવામાં આવ્યો જે પીડાથી કરાંજતો હતો. એ માણસ ચૌધરી પરિવારનો
સભ્ય હતો કે નહીં એ જડી જોઈ શકી નહોતી, એણે ફક્ત ચીસો સાંભળી હતી. એટલે એ ચોક્કસ રીતે કંઈ કહી શકે
એમ નહોતી…
બીજે દિવસે ‘સાહેબ’ના ઘરવાળા-રાધાભાભીનું મૃત્યુ થયું, પરંતુ જડી એ વખતે રસોડામાં નહોતી. લીમડો
તોડવા ગઈ હતી. જયરાજે બહુ પૂછપરછ કરી ત્યારે ડરતાં, અચકાતાં જડીએ પોતાના ભાઈ પાસે કબૂલાત કરી લીધી,
‘જે હળગી ગ્યા ઈ ભાભી હતા કે, ઓલી બાઈનું બોડી… એ મને આજેય હમજાયું નથ. જોકે, એ દિવસ પછી મેં
ભાભીને જોયાં નથ.’

જયરાજની વાત સાંભળી લીધા પછી રઝાકે ઊંડો શ્વાસ લીધો. એણે નિરાંતે એક પછી એક અંકોડા ગોઠવવા
માંડ્યા.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *