શાંત રહેવું એ બુદ્ધિશાળી માણસનો ગુણ છે.

શમપ્રધાનેષુ તપોધનેષુ ગૂઢ હિ દાહાત્મકમસ્તિ તેજઃ
સ્પર્શાનુકૂલા ઈવ સૂર્યકાંતાઃ તદૃન્યતેજોભિમવાદૂવમન્તિ.

જ્ઞાની અથવા તપસ્વી સાંસારિક પ્રપંચથી મુક્ત અને અનાસક્ત રહે છે. સામાન્યતઃ એમનું ચિત્ત
શાંત રહે છે, પરંતુ એમનામાં એક ગુપ્ત તેજ રહેલું હોય છે, જ્યારે કોઈ એમને તિરસ્કૃત કે અપમાનિત કરે
ત્યારે એ ગુપ્ત તેજને પ્રગટ કરે છે. જેમ સૂર્યકાંત મણિ પાસે પોતાનું તેજ તો છે જ, પરંતુ સૂર્યના તેજથી
એ વધુ પ્રદીપ્ત થાય છે. સમય આવે આવા જ્ઞાની પોતાની સંત વૃત્તિને છોડીને પોતાનું ભયાનક તેજ
પ્રગટ કરી તિરસ્કાર કે અપમાન કરનારને બાળી શકે એનું તેજ એટલું દાહક હોય છે.

‘અભિજ્ઞાન શાકુન્તલ’નો આ શ્લોક માણસમાં રહેલી એક એવી ઓળખને પ્રગટ કરે છે જે
સામાન્ય રીતે સજ્જન કે શાંત પ્રકારના લોકો બને ત્યાં સુધી પ્રગટ થવા દેતા નથી. આપણને મળતા
કેટલાક લોકો આપણને બહારથી શાંત અને ક્યારેક નબળા પણ લાગે. એમની સાથે થયેલા ખરાબ વર્તન
વિશે ક્યારેક એ ચૂપ રહે, રિએક્ટ ન થાય તો આપણને એવું લાગે કે, એ કોઈનાથી ડરે છે અથવા એમની
ભીતર એવી કોઈ કાયરતા છે જેને લીધે એ આ ખરાબ વર્તન, અપમાન કે તિરસ્કાર વિશે કશું જ કરતા
નથી!

દરેક વખતે આ સત્ય નથી હોતું. શાંત રહેવું એ બુધ્ધિશાળી માણસનો ગુણ છે. જેની પાસે સાચે
જ સમજણ છે, અક્કલ છે, જેણે વાંચ્યું છે, વિચાર્યું છે અને જેની પાસે શબ્દો કે સત્તાની શક્તિ છે એ
પોતાની શક્તિને નાની, મૂર્ખ જેવી વાતોમાં વેડફતા નથી. કોઈ એક વ્યક્તિ ગમે તેમ બોલે એને
બુધ્ધિશાળી માણસ સીરિયસલી લેતો નથી. સાચું પૂછો તો સીરિયસલી લેવા માટે, અપમાન થયું છે એવું
સ્વીકારવા માટે, દુશ્મનાવટ ઊભી કરવા માટે કે વેર લેવા માટે પણ ‘બરોબરિયા’ – ઈક્વલ લેવલના
માણસની જરૂર પડે છે. મૂર્ખ કે જેની કોઈ હેસિયત નથી એવા માણસના શબ્દ પર ઉશ્કેરાઈને એની સાથે
લડવું એ આપણી મૂર્ખતા પ્રગટ કરે છે!

કેટલાક લોકોની મજા એ છે કે, એમને પોતાની પહોંચ, આવડત કે હેસિયતની ખબર હોય છે.
એમનો આત્મવિશ્વાસ અને એમની બુધ્ધિ એટલી પ્રખર હોય છે કે એમણે આ આત્મવિશ્વાસ કે પોતાની
બુધ્ધિ વિશે અન્ય પાસેથી સતત સર્ટિફિકેટ ઊઘરાવવાની જરૂર નથી પડતી. જે લોકો એમને ઈગ્નોર કરે
છે-અવગણે છે, જે લોકો એમની સાથે સારી રીતે નથી વર્તતા અથવા એમનું અપમાન કરે છે એમની સામે
એમના જેવા ન થવું એ જ આવા લોકોના જ્ઞાન અને સમજણની સૌથી પહેલી ઓળખ છે.

આપણે વિચારીએ તો આપણને સમજાય કે, આજના સમયમાં લગભગ બધાને પોતાની
આસપાસની દુનિયામાંથી અપ્રુવલ જોઈએ છે. પડોશી, સ્વજનો, મિત્રો, સગાં, સહકાર્યકરો કે
ઓળખીતા-પાળખીતા જ્યાં સુધી આપણા વખાણ ન કરે ત્યાં સુધી આપણને આપણા તેજ (અચિવમેન્ટ
કે અસ્તિત્વ)નો અહેસાસ થતો નથી. જાણે અજાણે આપણે બધા અન્યની સરખામણી એ જ બહેતર કે
શ્રેષ્ઠ સાબિત થવાનો સંઘર્ષ કર્યા કરીએ છીએ. પોતે પોતાની શ્રેષ્ઠતા, સમજણ, આવડત કે અચિવમેન્ટ
વિશે ક્યારેય કેમ વિચારતા નથી?

માણસ તરીકે નાનામોટા એપ્રિસિએશનની અપેક્ષા હોય એમાં કશું ખોટું નથી, પરંતુ ‘દુસરોં કી
જય સે પહલે ખુદ કો જય કરેં’ની પંક્તિ બહુ જ સાચી અને સમજવા જેવી છે. જો આપણને બીજા
પાસેથી વખાણની કે અહોભાવની અપેક્ષા હશે તો આપણને એનું અપમાન પણ તરત જ સ્પર્શી જશે…
જો આપણે બીજાના કહેવા કે વિચારવા પર આપણી જાતનું માપ કાઢતા થઈ જઈએ તો, આપણે
બીજાની માપપટ્ટી પર જ મપાતા રહી જઈશું. જ્યારે બીજાની માપપટ્ટી પર મપાવાનું શરૂ થાય ત્યારે
માન-અપમાનનો નિર્ણય પણ બીજા લોકો જ કરવા લાગે. આપણા અસ્તિત્વ વિશે જ્યારે અન્ય કોઈને
કંટ્રોલ આપી દેવામાં આવે ત્યારે આપણા ક્રોધ કે ગ્લાનિનો કંટ્રોલ પણ બીજી વ્યક્તિ જ લઈ લે, એ
સ્વાભાવિક છે ને! આવા લોકો જે બીજાના કંટ્રોલથી ચાલે છે એ ચંદ્ર જેવા છે, સ્વયંપ્રકાશિત નથી. એ
માત્ર સૂર્યનો પ્રકાશ પરાવર્તિત કરી શકે છે.

જેની પાસે આત્મવિશ્વાસ છે, પોતાની બુધ્ધિ પર જેને ભરોસો છે, એવા લોકો સ્વયંપ્રકાશિત છે,
એમને પારકું તેજ ઉધાર લેવાની જરૂર નથી, એ તો ખરું જ, પરંતુ સાથે સાથે પોતાનું તેજ સતત પૂરવાર
કરવાની પણ એમને જરૂર નથી. આવા લોકો સમય આવે પોતાનું તેજ પ્રદર્શિત કરે છે ત્યારે ભલભલાની
આંખો અંજાઈ જાય છે. આવા લોકો શાંત હોય છે. એમને નાની નાની વાતમાં ખોટું લાગે, અપમાન
લાગે, દુઃખ થાય એવું બનતું નથી કારણ કે, એમને માટે જીવનની બીજી બાબતો વધુ મહત્વની હોય છે.
માણસ શાંત હોય કે એની સાથે થયેલા ગેરવર્તન વિશે ફરિયાદ ન કરે, રિએક્ટ ન કરે તો એવું ન માનવું કે
એ રિએક્ટ કરતા અચકાય છે કે, એને જવાબ આપતાં નથી આવડતું બલ્કે, એવા લોકોથી ડરવું… કારણ
કે એ લોકોનું તેજ એ પોતાની ભીતર સંઘરીને બેઠા હોય છે. એમની બુધ્ધિ અને પ્રતિભા એમને બીજાને
બતાવવામાં કે કશુંક સાબિત કરવામાં રસ નથી હોતો, પરંતુ સમય આવ્યે આવા લોકો જ્યારે એમના
સંયમનું આવરણ હટાવે છે ત્યારે એમાંથી જે તેજ પ્રગટ થાય છે એ એમના વ્યક્તિત્વનું, એમની
પ્રતિભાનું એવું તેજ હોય છે જેનો સામનો કરવો સામાન્ય માણસ માટે શક્ય નથી હોતું. આ તેજ દાહક
હોય છે. આમ પણ ‘કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ’ એક એવો શબ્દ છે, જે બાંધી રાખેલી શક્તિ છે. એ પ્રગટ થાય છે
ત્યારે અત્યાર સુધી રોકી રાકેલી તમામ શક્તિ અને તેજાબી તેજ સાથે પ્રગટ થાય છે.

આપણે વ્યક્તિ તરીકે પણ જાણે સંયમ રાખવાનું, ચૂપ રહેવાનું, આપણી સાથે ગેરવર્તન કરનાર
વ્યક્તિને જવાબ ન આપવાનું નક્કી કરીએ ત્યારે એવું ન માનવું કે આપણે તક ચૂકી ગયા… બલ્કે, આપણી
પાસે જે સંયમ છે એનું ગૌરવ કરવું. દરેક વખતે દરેક વાતનો જવાબ આપવો, રિએક્ટ થવું કે સામેની
વ્યક્તિના પ્રત્યેક વર્તનનો પ્રતિભાવ આપવો એ નબળાઈ છે… સાચી શક્તિ કે તાકાત તો મોટાભાગના
પ્રસંગોએ સંયમ જાળવવામાં અને યોગ્ય સમયે, સાચે જ જરૂર હોય ત્યારે આપણું તેજ પ્રગટ કરીને પ્રબળ
પ્રતિઉત્તર આપવામાં રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *